ભારતીય સેનાએ ગત રાત્રે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર રોકેટમારો કરીને પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતીય સેનાએ આ ‘ઓપરેશન સિંદૂર’ નામ આપ્યું છે. સીના પાર પણ ગતિવિધિઓ વધી ગઈ છે, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ એ પાકિસ્તાની સેનાને ભારત સામે કાર્યવાહી કરવા મંજુરી આપી છે. એવામાં ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (NSA) અજિત ડોભાલે મહત્વનું નિવેદન આપ્યું છે.
અજિત ડોભાલે કહ્યું કે ભારત તણાવ વધારવા ઇચ્છતું નથી, જો પાકિસ્તાન તરફથી તણાવ વધારવા કાર્યવાહી કરવામાં આવશે ભારત દૃઢતાપૂર્વક જવાબી કાર્યવાહી કરવા તૈયાર છે.NSA ડોભાલે વિવિધ દેશોના તેમના સમકક્ષો સાથે ભારતના ટાર્ગેટેડ એટેક અને પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સામે લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપતી વખતે આ ટિપ્પણી કરી હતી. અહેવાલ મુજબ અજિત ડોભાલે બુધવારે ઓપરેશન સિંદૂર પછી અમેરિકા, યુકે, સાઉદી અરેબિયા અને જાપાનમાં તેમના સમકક્ષો સાથે વાત કરી હતી. આ અંગે રશિયા અને ફ્રાન્સ સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.
અજિત ડોભાલે યુએસ NSA અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, યુકેના જોનાથન પોવેલ, સાઉદી અરેબિયાના મુસૈદ અલ ઐબાન, યુએઈના એચ.એચ. શેખ તહનૂન અને જાપાનના મસાતાકા ઓકાનો સાથે વાત કરી હતી.
વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, NSA ડોભાલે સ્ટ્રાઈક પછી તરત જ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે વાત કરી હતી અને ભારતે કરેલી કાર્યવાહી વિશે માહિતી આપી હતી. માર્કો રુબિયો X પરની એક પોસ્ટમાં જણાવ્યું કે “હું ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યો છું. હું આજે @POTUS (પ્રેસિડેન્ટ ઓફ યુએસ)ની ટિપ્પણીઓને સમર્થન આપું છું કે આશા છે કે આ ઝડપથી સમાપ્ત થશે અને શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતીય અને પાકિસ્તાના નેતાઓ સાથે વાત કરતા રહીશું.”
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500